HomeGujaratVidyadeep Insurance Scheme/India News Gujarat

Vidyadeep Insurance Scheme/India News Gujarat

Date:

સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોને સુરક્ષા કવચ આપતી રાજ્ય સરકારની વિદ્યાદિપ વીમા યોજના

રાજ્યની તમામ સરકારી, અનુદાનિત પ્રાથમિક તથા આશ્રમ શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને વિદ્યાદિપ વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે

અકસ્‍માતે મૃત્યુ પામતા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીના વાલીને વીમાની રકમ ચૂકવવામાં આવે છે: વિમા પ્રીમિયમની રકમ રાજ્ય સરકાર ભરે છે

રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને સુરક્ષા કવચ આપવા માટે વિદ્યાદિપ વિમા યોજના અમલી છે. જેમાં અકસ્માતે મૃત્યુ પામતા વિદ્યાર્થીના વાલીને વિમાની મળતી રકમ ચુકવવામાં આવે છે અને તે વિમાનું પ્રીમિયમ રાજ્ય સરકાર ભરે છે.
રાજ્યમાં ર૬મી જાન્યુઆરી-ર૦૦૧ ના રોજ મહા વિનાશકારી ભૂકંપ બાદ રાજ્ય સરકારે વિદ્યાદીપ યોજના અમલમાં મૂકી હતી. વર્ષ ર૦૦ર-૦૩ થી અમલી આ યોજનાનો ઉદ્દેશ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનાં અકસ્માતે થતાં અવસાનના કિસ્સામાં તેમના કુંટુંબને વીમાનું રક્ષણ પુરૂ પાડવાનું છે.
સરકારી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીનું આપઘાત કે કુદરતી મુત્યુ સિવાયના કિસ્સામાં મૃત્યુ થાય તેવા કિસ્સામાં વીમાનું રક્ષણ આપવાનું રાજ્ય સરકાર દ્વારા નકકી કરાયું છે. જેમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીનાં કિસ્સામાં રૂ.પ૦ હજારનો દાવો રજુ કરી શકાય છે. જેમાં નેશનલ ઈન્સ્યોરન્સ કંપની લિ. ગાંધીનગરના જણાવ્યા મુજબ (૧) FIR ની નકલ, (ર) પોસ્ટમોર્ટમ રિપોર્ટ, (૩) આચાર્યનું પ્રમાણપત્ર, (૪) સરપંચ તથા અન્ય અગ્રગણ્ય વ્યકિતઓનું આ બનાવ અંગેનું પંચનામું, (પ) ગ્રામ્ય વિસ્તાર માટે ગામના તલાટી કમ મંત્રી દ્વારા ઇસ્યુ કરાયેલ મરણનું પ્રમાણપત્ર તેમજ શહેરી વિસ્તાર માટે મરણનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર રજુ કરવાનું હોય છે. (૬) એડવાન્સ રસીદ વારસદારની સહી સાથે સરકારે નકકી કરેલ નમુનામાં (પરિશિષ્ટ-૧) મુજબ વારસદારને મૃત્યુની તારીખથી નિશ્ચિત કરેલ સમયમર્યાદામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, શાસનાધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી કે આશ્રમશાળા અધિકારીને વિમાની દાવાની અરજી જરૂરી પ્રમાણપત્ર સાથે સીધી મોકલી આપવાની રહે છે. આ યોજના હેતુ માટે લાભાર્થીના વારસદાર તરીકે મા-બાપ તેમની ગેરહાજરમાં ભાઈ, અપરણિત બહેન તેમની ગેરહાજરીમાં તેમનાં કાયદેસરના વારસદાર વ્યકિત રહેશે.
હાલમાં રાજ્યની તમામ સરકારી, અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં તથા આશ્રમ શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને વિદ્યાદિપ વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવેલ છે અને શાળા પ્રવેશોત્સવમાં જે વિદ્યાર્થીઓ આવી શાળાઓમાં પ્રવેશ મેળવશે તે તમામને આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે. આ તમામ વિદ્યાર્થીઓનાં વિદ્યાદીપ વીમા યોજનાની પ્રીમિયમની રકમ રાજ્ય સરકાર દ્વારા ભરવામાં આવે છે.

SHARE

Related stories

Latest stories