HomeBusiness'Wildlife Week-2023'/'વન્ય પ્રાણી સપ્તાહ-૨૦૨૩'/India News Gujarat

‘Wildlife Week-2023’/’વન્ય પ્રાણી સપ્તાહ-૨૦૨૩’/India News Gujarat

Date:

‘વન્ય પ્રાણી સપ્તાહ-૨૦૨૩’

સુરત જિલ્લામાં ૧૦૪ દીપડા, પક્ષીઓની ૨૩૬ પ્રજાતિઓ અને વૃક્ષોની ૧૨૬ પ્રજાતિઓ: દીપડાઓની સંખ્યામાં ૧૪૫ ટકાનો વધારો નોંધાયો

માનવજાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા વન્યપ્રાણીઓ, જંગલો અને વનસંપદાની કાળજી રાખવી અનિવાર્ય

સ્વચ્છ ભારત અભિયાનના ભાગરૂપે ગુજરાતના તમામ અભયારણ્ય-રાષ્ટ્રીય ઉદ્યાનોના વિસ્તારોને ૧૦૦ ટકા પ્લાસ્ટિક ફ્રી બનાવવાનો લક્ષ્યાંક

પર્યાવરણ જાળવણી માટે વૃક્ષો, વનોની સાથોસાથ વન્ય જીવોનું રક્ષણ પણ ખુબ જરૂરી છે. એટલે જ ભારતમાં વર્ષ ૧૯૫૫થી દર વર્ષે અહિંસાના પૂજારી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતીથી દર વર્ષે તા.૨ થી ૮ ઓક્ટોબર દરમિયાન ‘વન્ય પ્રાણી સપ્તાહ’ ઉજવવામાં આવે છે. જેમાં વન વિભાગ સહિત વન્ય પ્રાણીઓના રક્ષણ માટે કાર્યરત NGO અને શૈક્ષણિક સંસ્થાઓ ઉત્સાહભેર જોડાય છે. વનવિભાગ દ્વારા વનકર્મીઓ, પ્રકૃત્તિ સંરક્ષકો અને જાગૃત્ત નાગરિકોને તાલીમ આપવાની સાથોસાથ તેમની સારી કામગીરી માટે સન્માનિત પણ કરવામાં આવે છે. ગુજરાતમાં તા.૨ થી ૮ ઓકટોબર દરમિયાન તમામ ૩૩ જિલ્લા અને ૨૫૦ તાલુકાઓમાં ‘વન્ય પ્રાણી સપ્તાહ’ની વિવિધ રીતે ઉજવણી થઈ રહી છે. સ્વચ્છ ભારત અભિયાનના ભાગરૂપે ગુજરાતના તમામ અભયારણ્ય-રાષ્ટ્રીય ઉદ્યાનોના વિસ્તારોને ૧૦૦ ટકા પ્લાસ્ટિક ફ્રી બનાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
ભારતમાં વનસંપદા અને વન્યજીવ સંરક્ષણ માટે ભારતના કુલ જમીની ક્ષેત્રફળનો ૪.૭ ટકા વિસ્તાર વન્યજીવો માટે સુરક્ષિત વિસ્તાર (Wildlife Protected Area) જાહેર કરાયો છે. વિશ્વમાં એકમાત્ર ગુજરાતના જંગલોમાં એશિયાઈ સિંહ (Asiatic Lion) અને ભારતીય ઘુડખર (indian wild ass) વિશ્વમાં એકમાત્ર ગુજરાતમાં જોવા મળે છે.
મુખ્ય વન સંરક્ષક ડો.કે.શશીકુમારે જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં ૫૦,૦૦૦ હેકટર વન વિસ્તાર આવેલો છે. જેમાં ડુમસ, મહુવા, માંડવી, માંગરોળ અને ઉમરપાડા વિસ્તારના જંગલ વિસ્તારનો સમાવેશ થાય છે. આ વન વિસ્તારમાં દીપડા, શિયાળ, હરણ, જંગલી બિલાડી, ઝરખ, વણીયર, વરૂ, રોઝ, ચોશિંગા, ભેંકર જેવા જુદી-જુદી પ્રજાતિઓના પ્રાણીઓ વસે છે.
વરૂ, જંગલી બિલાડી, ઝરખ, વણીયર એમ આ ચાર પ્રજાતિઓના પ્રાણીઓની સંખ્યા ૭૨૦ છે, ઉપરાંત, રોઝ, ચોશિંગા અને ભેંકરની કુલ સંખ્યા ૧૬૫૨ છે. ૨૦૧૮થી ૨૦૨૩ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં દીપડાની સંખ્યામાં નોંધનીય ૬૩ ટકાના વધારો થયો છે. અગાઉ સુરત જિલ્લામાં ૨૦૧૮માં ૪૦ દીપડા હતા, પરંતુ વન્યપ્રાણીઓના સંરક્ષણ સંવર્ધનની કામગીરીને કારણે વધીને ૨૦૨૩માં ૧૦૪ દીપડા નોંધાયા છે, એટલે કે દીપડાની વસ્તીમાં ૧૪૫ ટકાનો વધારો થયો છે. સુરત જિલ્લામાં પક્ષીઓની ૨૩૬ પ્રજાતિઓ અને વૃક્ષોની ૧૨૬ પ્રજાતિઓ જોવા મળે છે. રાજ્ય સરકારની ૧૯૬૨ કરૂણા એમ્બ્યુલન્સ સેવા ઘાયલ પક્ષીઓની સારવાર આપે છે, તથા વાઈલ્ડ લાઈફ હેલ્પલાઈન નં. ૮૩૨૦૦૦૨૦૦૦ ઉપર વોટ્સએપ મેસેજ કરી સારવાર કેન્દ્રની વિગત મેળવી શકાય છે એમ ડો.શશીકુમારે જણાવ્યું હતું.

જન-જનને જીવાડવા માટે જંગલો અને તેની સંપદાને જીવાડવી અનિવાર્ય
. . . . . . . . . . . . . . . . . . . .
સ્વતંત્રતા પછી તુરંતના વર્ષોમાં કેન્દ્ર સરકારે અમૂલ્ય વન પ્રાણી સંપદાના રક્ષણ માટે કેટલીક જોગવાઈઓ અને વ્યવસ્થાઓ કરી. ત્યારથી વન્ય પ્રાણીઓના રક્ષણમાં લોકોને જોડવા અને સમુદાયોમાં તેમની જાળવણીની જાગૃતિ વ્યાપક બનાવવા વન્ય પ્રાણી સપ્તાહ ઉજવાય છે. જ્યારે યુનોના ઠરાવ થી ૩ જી માર્ચના રોજ વન્ય પ્રાણી સંરક્ષણ દિવસ ઉજવવામાં આવે છે.
એક અંદાજ પ્રમાણે જંગલો અને તેની આસપાસના વિસ્તારોમાં ૨૫૦ થી ત્રણસો મિલિયન (૨૫ થી ત્રીસ કરોડ) લોકો રહે છે. જેઓના ખોરાક, રહેઠાણ, ઊર્જા અને ઔષધિઓ જેવી જરૂરિયાતો જંગલ પૂરી કરે છે. જંગલો, તેના નિવાસીઓ અને આસપાસના નિવાસીઓ માટે રોજીરોટીનો સ્રોત છે. એટલે જંગલો અને તેની ફ્લોરા ફાઉના એટલે કે વનસ્પતિ અને પ્રાણી વિવિધતા સાચવી અને વધારીને લોકોને અને ધરતીને ટકાવી શકાશે. વનનિર્ભર એવા આ નાગરિકો અને પ્રાણીઓના કલ્યાણ માટે જંગલો અને જંગલ જીવોને સાચવવા જ પડશે. એટલે જ જંગલ અને જંગલ જીવોને આબાદ રાખવા એ દયા નથી, પણ માનવજાતને જીવતી રાખવાનો વ્યાયામ છે. જન-જનને જીવાડવા માટે જંગલો અને તેની સંપદાને જીવાડવી અનિવાર્ય છે.
વન્ય પ્રાણીઓ પ્રકૃતિનું અભિન્ન અંગ છે. તેમના અસ્તિત્વને ટકાવી રાખવા અને દુર્લભ પ્રાણીઓ પ્રત્યે માનવજાતમાં દયાભાવ અને લાગણી ઉભી થાય, પ્રાણી તથા માનવ વચ્ચે રહેલા નૈસર્ગિક સેતુને અતૂટ રાખી લુપ્ત થતા તેમજ અન્ય તમામ વન્યપ્રાણીઓને બચાવવા વનવિભાગને મદદરૂપ થવું એ સભ્ય નાગરિક તરીકે આપણી ફરજ છે.

આપણે વન્યજીવોના રક્ષણમાં કઈ રીતે મદદરૂપ થઈ શકીએ?
. . . . . . . . . . . . . . . . . . . . . .
 રાત્રિના સમયે તમામ રસ્તા તથા ખાસ કરીને જે જંગલ વચ્ચેના રસ્તાઓ પરથી પસાર થઈએ ત્યારે વાહન ધીમુ ચલાવવું જોઈએ.
 ખેતરોમાં ખુલ્લા વીજ કરંટ ન મુકીએ. આ દંડનીય અપરાધ છે. ખુલ્લા કુવાઓ કરતે પેરાકીટ વોલ કે કેન્સીંગ કરીએ.
 વન્યપ્રાણીઓ બાબતની ખોટી અફવાઓ અને અંધશ્રધ્ધાથી બચવું.
 આપણી આસપાસ સીમ-વગડા કે બૃહદ્દ ગીરમાં વસવાટ કરતા શિકારી કે તૃણાહારી વન્યજીવોને હેરાન પરેશાન ન કરીએ. તેના રોજિંદા જીવનમાં ખલેલ ઊભી ન કરીએ. તેમના વ્યવહાર અને સ્વભાવને સમજીએ.
 વન્ય પ્રાણીને દોડાવવું, હેરાન કરવું, ચીડાવવું, ઈજા કરવી કે મારવું, વન્યપ્રાણીઓને ખોરાક આપીને લલચાવવું, પાળવું કે પાસે બોલાવવું એ પણ એ વન્યજીવ સંરક્ષણ ધારા ૧૯૭૨ ની કલમ -૯ મુજબ ગુનો બને છે. આ બાબતે ધ્યાન રાખીએ.
 વન્યપ્રાણીઓના રહેઠાણ અને વસવાટને બચાવીએ.
 આપણી આજબાજુ વન્યજીવો કે તેના અંગોનો વેપાર થતો જોવા મળે તો વન વિભાગને જાણ કરી જાગૃત નાગરિક તરીકેની કરજ બજાવીએ (બાતમી આપનારનું નામ ગોપનીય રાખવામાં આવે છે).
 સરિસૃપ વર્ગના પ્રાણીઓ જેવા કે સાપ, ઘો વગેરે ખેડૂતના મિત્રો છે, તેને બચાવીએ.
 કોઈ વન્યપ્રાણી ઈજાગ્રસ્ત જણાય તો તુરંત વન વિભાગનો સંપર્ક કરવો જોઈએ.
 વન વિભાગ દ્વારા ચલાવવામાં આવતા જાગૃત્તિ કાર્યક્રમો, વન્યપ્રાણી સપ્તાહ, કરૂણા અભિયાન વગેરેમાં હોંશભેર જોડાઈએ.

SHARE

Related stories

Latest stories