HomeBusinessNew Horizons Of Doing Business Will Open/મોટા ઉદ્યોગ ગૃહો સાથે વ્યાપાર કરવાની...

New Horizons Of Doing Business Will Open/મોટા ઉદ્યોગ ગૃહો સાથે વ્યાપાર કરવાની નવી ક્ષીતિજો ખૂલશે/INDIA NEWS GUJARAT

Date:

સુરતના લઘુ ઉદ્યોગકારો અને વેપારીઓ માટે મુંબઇના મોટા ઉદ્યોગ ગૃહો સાથે વ્યાપાર કરવાની નવી ક્ષીતિજો ખૂલશે

SGCCIના પ્રમુખ અને માનદ્‌ મંત્રીએ મિશન ૮૪ અંતર્ગત મુંબઇ ખાતે બોમ્બે ચેમ્બર ઓફ કોમર્સના ડાયરેકટર જનરલ સંદિપ ખોસલા સાથે મિટીંગ કરી વિસ્તૃત ચર્ચા કરી

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ રમેશ વઘાસિયા અને માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસીએ SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત સોમવાર, તા. ૪ ડિસેમ્બર, ર૦ર૩ના રોજ મુંબઇ ખાતે બોમ્બે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ડાયરેકટર જનરલ સંદિપ ખોસલા સાથે મિટીંગ કરી હતી. ચેમ્બર પ્રમુખે તેમની સમક્ષ મિશન ૮૪ પ્રોજેકટનું પ્રેઝન્ટેશન કર્યુ હતું અને ભારતમાંથી એક્ષ્પોર્ટને વધારવા તેમજ દેશની ઇકોનોમીને વધુ મજબુત કરવા હેતુ આ પ્રોજેકટના મહત્વ વિશે તેમની સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે સુરતના સુક્ષ્મ, લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગકારો અને વેપારીઓ પાસેથી મુંબઇના મોટા ઉદ્યોગ ગૃહો વિવિધ પ્રોડકટની ખરીદી કરી શકે તે માટેની વ્યવસ્થા ગોઠવવા પ્રયાસ કરવાનો અનુરોધ કર્યો હતો.

SGCCIના પ્રમુખ રમેશ વઘાસિયાએ બોમ્બે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ડાયરેકટર જનરલને મિશન ૮૪ પ્રોજેકટની માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારતમાંથી એક્ષ્પોર્ટને વધારવા માટે ચેમ્બર ઓફ કોમર્સે મિશન ૮૪ પ્રોજેકટ અંતર્ગત ઓનલાઇન ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ બનાવ્યું છે, જેની સાથે ભારતના ૮૪,૦૦૦ ઉદ્યોગકારો અને વિશ્વના જુદા–જુદા દેશોમાં બિઝનેસ કરતા ૮૪,૦૦૦ બિઝનેસમેનોને ઓનબોર્ડ કરવા પ્રયાસ થઇ રહયો છે. એવી રીતે જ ભારતની ૮૪ ચેમ્બર ઓફ કોમર્સને તથા વિશ્વના ૮૪ દેશોની ચેમ્બર ઓફ કોમર્સને પણ આ ઓનલાઈન ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ પર લાવવા મિટીંગો કરવામાં આવી રહી છે, જેના ભાગ રૂપે બોમ્બે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીને પણ આ પોર્ટલ પર જોડાવા માટે ચેમ્બર પ્રમુખે તેમને વિનંતિ કરી હતી, જેનો તેમણે સહર્ષ સ્વીકાર કર્યો હતો. બોમ્બે ચેમ્બર ઓફ કોમર્સમાં ૩પ૦૦ કરતા મોટા ઉદ્યોગ ગૃહો સભ્યો છે. આ ઉપરાંત ભારતમાં કાર્યરત ૮૪ દેશોના કોન્સુલ જનરલ તેમજ વિશ્વના ૮૪ દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા એમ્બેસેડર્સને પણ આ પોર્ટલ પર ઓનબોર્ડ કરવા માટે પ્રયાસો કરાઇ રહયા છે.

BCCIના ડાયરેકટર જનરલ સંદિપ ખોસલા SGCCIના મિશન ૮૪ પ્રોજેકટથી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને તેમણે ચેમ્બર પ્રમુખ પાસેથી તેની વધુ વિગતો મેળવી હતી. તદુપરાંત SGCCI દ્વારા કરાતી વિવિધ પ્રવૃત્તિઓની પણ માહિતી મેળવી હતી. તેમણે જણાવ્યું હતું કે, મિશન ૮૪ને તેઓ સંપૂર્ણપણે સહયોગ આપશે અને ઓનલાઇન ઇન્ટરનેશનલ પોર્ટલ પર તેમના સભ્યોને ઓનબોર્ડ કરશે. મુંબઇના મોટા ઉદ્યોગ ગૃહો તેમના સભ્યો છે, આથી તેઓ આ ઉદ્યોગ ગૃહોના માલિકો સહિતનું બિઝનેસ ડેલીગેશન સુરત લાવશે અને સુરતના ઉદ્યોગકારો – વેપારીઓ સાથે વન ટુ વન બિઝનેસ મિટીંગ કરવામાં આવશે.

મુંબઇના મોટા ઉદ્યોગ ગૃહો દેશમાં અન્ય સ્થળેથી તેમજ વિદેશથી પ્રોડકટ મેળવે છે ત્યારે સુરતના MSME ઉદ્યોગકારો તેમજ વેપારીઓ પાસેથી તેઓ પ્રોડકટ મેળવી શકે તે માટેની વ્યવસ્થા ગોઠવવા કરવા ચેમ્બર ઓફ કોમર્સના માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસીએ તેમને અનુરોધ કર્યો હતો. જેથી કરીને સુરતના લઘુ ઉદ્યોગકારો અને વેપારીઓને તેમની પ્રોડકટ માટે મુંબઇમાં પણ નવું માર્કેટ મળી શકે અને તેઓ પોતાનો ધંધો – વ્યવસાય વધુ સારી રીતે વિસ્તારી શકે.

ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, મિટીંગના ફળ સ્વરૂપે ટુંક સમયમાં જ મુંબઇના મોટા ઉદ્યોગ ગૃહો તેમજ બિઝનેસ હાઉસિસના માલિકો સાથે બિઝનેસ મીટ માટે તેમજ પરસ્પર પ્રોડકટની ખરીદી – વેચાણ માટે SGCCI અને BCCI વચ્ચે સમજૂતિ કરાર થશે. આ સમજૂતિ કરાર મુજબ મુંબઇના મોટા ઉદ્યોગ ગૃહો, સુરતના લઘુ ઉદ્યોગકારો અને વેપારીઓ પાસેથી જરૂરિયાત મુજબની પ્રોડકટની ખરીદી કરી શકશે. જેને પગલે સુરતના MSME ઉદ્યોગકારો અને વેપારીઓ માટે પ્રકયોરમેન્ટના દરવાજા ખૂલી જશે.

SGCCI અને BCCI વચ્ચે MoU સાઇન થયા બાદ ચેમ્બર ઓફ કોમર્સના સભ્યો મુંબઇના મોટા ઉદ્યોગ ગૃહો તેમજ ફેકટરીઓની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ કરી શકશે અને આ ઉદ્યોગ ગૃહો માટે જરૂરી વિવિધ પ્રોડકટની માહિતી મેળવી શકશે. SGCCI અને BCCI દ્વારા આવનારા દિવસોમાં સંયુકતપણે નવા પ્રકારના કોન્કલેવ અને કાર્યક્રમો સુરત તથા મુંબઇ ખાતે આયોજિત કરી શકાશે, જેમાં ચેમ્બર ઓફ કોમર્સ સુરતના સભ્યો ભાગ લઇ શકશે અને પોતાના ધંધા – વ્યવસાયને વધુ વિસ્તાર માટેની તકોની જાણકારી મેળવી શકશે. આ ઉપરાંત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સુરત ખાતે આયોજિત કાર્યક્રમોમાં પણ મુંબઇના વ્યાપાર – ઉદ્યોગના નિષ્ણાંતોનું ઓનલાઇન માર્ગદર્શન પણ મેળવી શકાશે.

SHARE

Related stories

Latest stories