HomeEducationGraduation Ceremony : ભગવાન મહાવીર યુનિવર્સિટીનો ચોથો પદવીદાન સમારોહ યોજાયો : INDIA...

Graduation Ceremony : ભગવાન મહાવીર યુનિવર્સિટીનો ચોથો પદવીદાન સમારોહ યોજાયો : INDIA NEWS GUJARAT

Date:

ભગવાન મહાવીર યુનિવર્સિટીનો ચોથો પદવીદાન સમારોહ યોજાયો

શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને આયોજિત પદવીદાન સમારોહમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ અને આચાર્યશ્રી મહાશ્રમણજીની પ્રેરક ઉપસ્થિતિ

૧૫ વિદ્યાશાખાઓના ૨૬૧૧ યુવા છાત્ર-છાત્રાઓને પદવીઓ એનાયત

જીવનમાં હંમેશા પ્રથમ આવવું એ જ મહત્વનું નથી, પરંતુ શ્રેષ્ઠ બનવું, સક્ષમ, જવાબદેહ અને વ્યાવહારિક બનવું એ લક્ષ્ય હોવું જોઈએ : કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ

યુનિવર્સિટીમાં મેળવેલા જ્ઞાન અને સફળતાને સમાજ અને રાષ્ટ્રનિર્માણ માટે ઉપયોગી બનાવવાનો અનુરોધ કરતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા

વેસુ સ્થિત ભગવાન મહાવીર યુનિવર્સિટીનો ચોથો પદવીદાન સમારોહ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં યુનિ.સંલગ્ન ૧૫ કોલેજોના આર્કિટેક્ચર, રિસર્ચ (પીએચડી), વિજ્ઞાન, કોમ્પ્યુટર એપ્લીકેશન, કોમર્સ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝ, એજ્યુકેશન (એમડી), એજ્યુકેશન (બી.એડ), એન્જિયરીંગ, આર્ટસ, મેનેજમેન્ટ (એમબીએ, એમસીએ), ફાર્મસી, ડિપ્લોમા શારીરિક શિક્ષણ (B.P.Ed), શારીરિક શિક્ષણ (M.P.Ed), નર્સિંગ એમ એમ ૧૫ વિદ્યાશાખાના ૨૬૧૧ વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરાઈ હતી. જેમાંથી ૪૧ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, ૪૧ ને સિલ્વર મેડલ અને ૧૪ વિદ્યાર્થીઓને પીએચડીની પદવી એનાયત કરાઈ હતી. આ પ્રસંગે આચાર્ય મહાશ્રમણજીની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર. પાટીલે પ્રેરક ઉદ્દબોધન કરતાં જણાવ્યું કે, જીવનમાં હંમેશા પ્રથમ આવવું, અવ્વલ આવવું એ જ મહત્વનું નથી, પરંતુ શ્રેષ્ઠ બનવું, સક્ષમ, જવાબદેહ અને વ્યાવહારિક બનવું એ લક્ષ્ય હોવું જોઈએ. આ દિવસ પદવી મેળવનાર વિદ્યાર્થીઓનો જીવનપથ કંડારશે. કારણ કે કારકિર્દીમાં સફળતા મેળવવા માટે પદવી ઉપકારક બનશે એમ જણાવી સમાજ, રાજ્ય અને દેશના હિતમાં આદર્શ યોગદાન આપવા અનુરોધ કર્યો હતો


તેમણે કહ્યું કે, આચાર્ય મહાશ્રમણજીએ હજારો કિમીની યાત્રા કરીને લોકોને સદાચારની રાહ પર ચાલવા માટે પ્રેરિત કર્યા છે, જેમને ધ્યાન, યોગ અન્ય પ્રશિક્ષણ આપી તેમની દૂર્ગુણોને દૂર કર્યા છે.


શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈએ દીક્ષાંત પ્રવચન કરતા મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓ હવે આગળ ઉચ્ચ અભ્યાસ, નોકરી અથવા કોઇ પણ વ્યવસાય શરૂ કરશે ત્યારે આધુનિક વિષયો પર ચિંતન- મનન કરી ઇનોવેટિવ વિચારો પર રિસર્ચ માટે સરકારની વિવિધ પ્રવર્તમાન યોજનાઓનો લાભ મેળવી સમાજ અને રાષ્ટ્રની પ્રગતિ માટે ચાલકબળ બને તે જરૂરી છે.


આજે દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓ ડિગ્રી પ્રાપ્ત કરી જાહેરજીવનમાં ડગ માંડવા જઈ રહ્યા છે, ત્યારે જીવનના યુવાકાળ દરમિયાન કરેલ શ્રેષ્ઠ તપસ્યા અને મહેનતથી જીવનમાં આગળ વધીએ. તેમણે વિદ્યાર્થીઓને રાષ્ટ્ર અને સમાજના હિત માટે મૂલ્યનિષ્ઠતા અને પ્રમાણિકતા સાથે યોગદાન આપવાનો મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.


શિક્ષણમંત્રીએ ડિગ્રી પ્રાપ્ત કરનાર યુવા છાત્રોને આજીવન વિદ્યાર્થી બની કોલેજ-યુનિવર્સિટી દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે માત્ર સ્વ-ઉત્કર્ષ માટે જ નહીં, પણ સમાજ અને રાષ્ટ્રના નિર્માણ માટે પણ ઉપયોગી થાય તેવો પુરૂષાર્થ કરવા આહ્વાન કર્યું હતું.


વિદ્યાર્થીઓ જે રીતે શિક્ષણની કસોટીમાં પાર ઉતર્યા, તે જ રીતે જીવનની વ્યક્તિગત કસોટી તથા સમાજ ઘડતર અને રાષ્ટ્ર કલ્યાણ માટે શિક્ષાનો ઉપયોગ કરે તે માટે કટિબદ્ધ બની સામાજિક અને વ્યવસાયિક જગતમાં પણ સફળતાપૂર્વક પાર ઉતરે એવી ઉન્નત ભવિષ્યની શુભકામનાઓ પાનશેરિયાએ પાઠવી હતી.


આ પ્રસંગે આચાર્ય મહાશ્રમણજીએ વિદ્યાર્થીઓને જીવન અને જ્ઞાનનું મહત્વ સમજાવી શ્રેષ્ઠ નાગરિક બનવાની પ્રેરણા આપી હતી.
આ પ્રસંગે પદ્મશ્રી મથુરભાઈ સવાણી, ભગવાન મહાવીર એજ્યુકેશન ફાઉન્ડેશનના ચેરમેન જગદીશ જૈન, યુનિ. સ્થાપક અને ટ્રસ્ટી અનિલ જૈન, પ્રેસિડેન્ટ ડૉ.સંજય જૈન, પ્રો વોસ્ટ ડો મનોજ કુમાર, રજિસ્ટ્રાર ડૉ.વિજય માતવાલા, ગવર્નિંગ બોડીના સભ્યો, ટ્રસ્ટીગણ, પ્રાધ્યાપકો, દીક્ષાંત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

SHARE

Related stories

Latest stories